અષ્ટાંગ યોગ
અષ્ટાંગ યોગ "યોગના આઠ અંગો" એ પતંજલિ દ્વારા તેમના યોગ સૂત્રોમાં દર્શાવેલ શાસ્ત્રીય યોગનું વર્ગીકરણ છે . આત્મતત્વની પ્રાપ્તિ માટે 'યોગદર્શન' અષ્ટાંગ માર્ગ દર્શાવે છે. મહર્ષિ પતંજલિએ ઉપદેશલો યોગ ‘રાજયોગ' કહેવામાં આવે છે.
અષ્ટાંગ માર્ગમાં આઠ અંગોનો સમાવેશ થાય છે. આથી તેને 'અષ્ટાંગ યોગ' કહે છે, જે આ પ્રમાણે છે : 1. યમ, 2. નિયમ, 3. આસન, 4. પ્રાણાયામ 5 પ્રત્યાહાર 6 ધારણા 7 ધ્યાન 8 સમાધિ
૧. 'યોગના બહિર અંગો’: 1. યમ 2. નિયમ 3. આસન 4. પ્રાણાયામ 5. પ્રત્યાહાર
યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર આ પાંચ 'અષ્ટાંગ યોગ'નાં 'બહિર અંગ' છે. 'બહિર અંગો' ચિત્તમાં વિક્ષેપ સર્જનારા અને ચેતાકિય ઘોંઘાટને વધારનારાં બાહ્ય કારણોને દૂર કરે છે.
1. યમ : સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય આ પાંચ 'યમ' છે.
2. નિયમ : શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન આ પાંચ 'નિયમ' છે. અ પાંચ નિયમો વ્યક્તિના આચરણને નૈતિક બનાવી શુદ્ધ કરે છે.
3. આસન અને 4. પ્રાણાયમ : 'આસન' અને 'પ્રાણાયામ' વ્યક્તિના શરીર અને મનને શુદ્ધ કરી તંદુરસ્તી વધારે છે.
5. પ્રત્યાહાર : 'પ્રત્યાહાર' વ્યક્તિની ઈન્દ્રિયોની વિષયો તરફથી સહજ બહિર્મુખ ગતિને સ્વેચ્છાએ રોકી તેને અંતર્મુખ બનાવે છે.
૨. 'યોગના અંતઃ અંગો’: 6. ધારણા 7. ધ્યાન 8. સમાધિ
ધારણા, ધ્યાન અને સમાધિ આ ત્રણ અષ્ટાંગ યોગનં 'અંતઃઅંગો' છે.
'અંતઃ અંગો' ચેતાકીય ઘોંઘાટ સર્જનારા આંતરિક વિકર્ષકોને દૂર કરે છે.
6. ધારણા: 'ધારણા'માં કોઈ એક વિષય પર ધ્યાનને કેન્દ્રીત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જે વિષય પર ચિત્તને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે તે વિષયને 'ધ્યેય' કહેવાય છે. ચિત્તને એકાગ્ર કરનાર વ્યક્તિને 'ધ્યાતા' કહેવય છે અને એકાગ્રતાની આ પ્રક્રિયાને 'ધ્યાન' કહેવાય છે. 'ધારણા'માં ધ્યાતા, ધ્યેય અને ધ્યાન એ ત્રણેય વચ્ચે સ્પષ્ટ ભેદ હોય છે. ધ્યાનની શરૂઆતની અવસ્થા એ 'ધારણા' છે.
7. ધ્યાન : ધીમે ધીમે ચિત્ત 'ધ્યેય'માં એકાગ્ર થતું જાય છે અને વૃત્તિનો એકધારો પ્રવાહ ધ્યેયાકાર બનીને વહેવા લાગે છે, જેને 'ધ્યાન' કહેવાય છે. આમ, ધારણા કરતાં ધ્યાનમાં એકાગ્રતા વધુ ઊંડાણ પ્રાપ્ત કરે છે.
8 . સમાધિ : 'સમાધિ'માં ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એ ત્રણેય વચ્ચેનો ભેદ નષ્ટ થઈ જાય છે. ચિત્તના વિક્ષેપો અને ચેતાકીય ઘોંઘાટ સપૂર્ણ શાંત બને છે. વ્યક્તિને ચેતનાના મૂળ સ્વરૂપનો આનંદ મળે છે અને વ્યક્તિ ચરમ શાંતિનો અનુભવ કરે છે. આ અવસ્થા એ ધ્યાનની સર્વોચ્ચ અવસ્થા છે.
આ અવસ્થામાં વ્યક્તિને સમસ્ત બ્રહ્માંડની 'આંતરસંબધિતતા' અને 'એકતા'નો સર્વવ્યાપકતાનો, પરમ શાંતિનો તથા પરમાનંદનો અનુભવ થાય છે.
ડબલ્યુ. ટી. સ્ટેસ ના મત મુજબ, "વિશ્વના તમામ મહાપુરુષોના આધ્યાત્મિક અનુભવો કે રહસ્યાનુભૂતિઓમાં આ પ્રકારના આંતરસંબંધિતતા, એકતા, આનંદ અને શાંતિનો અનુભવ જોવા મળે છે."
ભારતીય દર્શનો અનુસાર ધ્યાનની ચરમસીમાએ પ્રાપ્ત થતો પરમાનંદ, એ વિશ્વના તમામ પ્રકારના આનંદોમાં શ્રેષ્ઠતમ અને ઉચ્ચત્તમ છે. માનવીના જીવનનું મુખ્ય લક્ષ્ય ધ્યાનની ચરમસીમાનો અનુભવ કરવાનો છે.